હોમ

મંગળવાર, 7 જાન્યુઆરી, 2020

ક્રેડીટ કાર્ડ - નુક્શાનકારક કે ફાયદાકારક - Credit Cards - Useful or Harmful.









ક્રેડીટ કાર્ડ - એના વિશે સમજ અને ગેરસમજ બન્ને ખુબ જ વ્યાપ્ત છે. 

પ્લાસ્ટીક કરન્સી તરીકે ક્રેડીટ કાર્ડ આજે આપણા દેશમાં પણ ખુબ જ પ્રચલીત થઈ ગયા છે. તાત્કાલીક જરૂરીયાત હોય અને ખીસ્સામાં રૂપીયા નથી? નો વરી. હમણાં ક્યાં ચુકવવાના છે? ઘસો કાર્ડ અને કરો મોજ. પણ આ ઘસારો છેવટે કેટલો મોંઘો પડી શકે છે? જો સમજાદારી કે જવાબદારી સાથે ઉપયોગ ન થયો તો?

આજે નહીં પણ વરસોથી આ દલીલો ચાલે છે કે ક્રેડીટ કાર્ડ લેવાય કે ન લેવાય? અને એ તો દેવાના ડુંગરા ઉભા કરે છે. અને તબાહી સીવાય કોઇ જ ફાયદો નથી. અને અન્ય દલીલ એ પણ થાય છે કે ક્રેડીટ કાર્ડના સંયમિત (!!) ઉપયોગ વડે તમે ઘણા ફાયદાઓ મેળવી શકો છો.

ક્રેડીટ કાર્ડ લેવું કે નહીં? લઈએ તો શું ફાયદા અને શું નુક્શાન છે?  એના બન્ને પાસાંઓ જોઇએ.

Image result for credit card


ક્રેડીટ કાર્ડના ફાયદાઓ:


  • ક્રેડીટ કાર્ડ સાથે હોય તો રોકડા રૂપીયા સાથે રાખવાની જરૂર નથી પડતી. મુસાફરીમાં કે ખરીદી વખતે સુરક્ષીત રીતે ફરી શકાય છે.
  • ક્રેડીટ સ્કોર (સીબીલ) સુધારવા માટે ઉપયોગી થાય છે.
  • એક પ્રકારે વગર વ્યાજનું ચોક્કસ દિવસો માટે ધીરાણ પ્રાપ્ત થાય છે. (જેની ચુકવણી પેમેન્ટ સાયકલ પ્રમાણે કરવાની રહેતી હોય છે)
  • પ્રત્યેક ખર્ચ કે વપરાશ ઉપર રીવોર્ડ પોઇન્ટ મળે છે. અને એ રીવોર્ડ પોઇન્ટ વડે તમને ગીફ્ટ વાઉચર કે પ્રોડક્ટ્સ કે અન્ય ફાયદાઓ મળતા હોય છે.
  • જો કોઇ સેવા કે પ્રોડક્ટ્સથી સંતોષ ન થયો હોય તો ચાર્જબેક સગવડ પણ આમાં હોય છે.
  • ક્રેડીટ કાર્ડ આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમ્યાન (જો એ સગવડ એક્ટીવેટ કરાવી હોય તો) વિદેશી કરન્સીમાં પણ મદદરૂપ થાય છે. તમારે જે તે દેશમાં વધારે રોકડા સાથે ફેરવવાની જરૂર નથી રહેતી.
  • સમયે સમયે એમની ઓફર્સ આવતી રહેતી હોય છે. ફ્લાઈટ, હોટેલ કે રેસ્ટોરન્ટ્સ પર એકસ્ટ્રા ડીસ્કાઉન્ટ કે કેશબેક. એનો લાભ વધારાનો ગણી શકાય.
  • એરપોર્ટ લોન્જ એસેસ. ડોમેસ્ટીક કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિશાળ લોન્જ હોય છે. એમાં (ક્રેડીટ કાર્ડ કેટેગરી સુનિશ્ચિત હોય છે એ પ્રમાણે) ભોજન સ્નાન વગેરેની સગવડ લગભગ મફત મળે છે. લગભગ મફત એટલે લખ્યું કે ૨ રૂપીયા થી ૨૦ રૂપીયા ચાર્જ વસુલે (જે પરત મળી જતા હોય છે)

ક્રેડીટ કાર્ડના ગેરફાયદાઓ:


  • ખુબ જ ઉંચા વ્યાજના દર. પેમેન્ટ સાયકલ દરમ્યાન જો બેલેન્સ કેરી ફોરવર્ડ થાય તો ૨૨% - ૩૦% જેટલું વ્યાજ ચુકવવું પડતું હોય છે.
  • અનિયમિત ચુકવણી કે પેમેન્ટમાં ડીફોલ્ટ ક્રેડીટ સ્કોર (સીબીલ) ખરાબ કરે છે.
  • એન્યુઅલ ચાર્જ: કાર્ડના અલગ અલગ પ્રકાર હોય છે. જેમ સેવાઓ વધારે એમ ચાર્જ વધારે. જે ફ્રી કાર્ડ હોય છે એમાં સગવડો પણ મર્યાદીત હોય છે. પ્રત્યેક વરસે કાર્ડ ઉપર ૨૦૦૦ થી લઈને ૫૦૦૦ કે વધારે ફીઝ લાગુ પડતી હોય છે.
  • ક્રેડીટ કાર્ડ ફ્રોડના પ્રસંગો ખુબ બનતા હોય છે. તો કાર્ડની વિગતો, પીન નંબર કે વન ટાઈમ પાસકોડ કોઇની સાથે શેર કરીએ તો આ પ્રોબ્લેમ ઉદભવી શકે છે. અમુક લોકો કાર્ડને ક્લોન (એની ડુપ્લીકેટ કોપી) પણ બનાવી નાખે છે. જેમાં આપણા કાર્ડની રકમ પરત મેળવવા લાંબી પ્રક્રીયા છે.
  • કેશ એડવાન્સ કે કેશ ઉપાડ ઉપર મોટી રકમના ચાર્જ લાગે છે. જે કાર્ડ કંપનીએ કંપનીએ અલગ અલગ હોય છે. અને કેશ ઉપાડ ઉપર ચાર્જ ઉપરાંત દૈનિક વ્યાજ પણ મોટું લાગે છે.
  • કાર્ડ ઉપર સરચાર્જ અને અન્ય લેવીઓ પણ સતત લાગતી રહેતી હોય છે.
  • જો ક્રેડીટ કાર્ડની લીમીટ ક્રોસ કરો કે પેમેન્ટમાં ચુક થાય તો વધારાની ફીઝ પણ લાગે છે.

ધ્યાનમાં શું રાખવું:


  • ક્રેડીટ કાર્ડને સંકટ સમયની જરૂરીયાત પ્રમાણે જ વાપરવું. આમ તો નિયમિત વાપરવાથી કોઇ સમસ્યાઓ નથી હોતી. પણ તાત્કાલીક ગોખીસ્સામાંથી રકમ જતી નથી એટલે લોકો થોડા બેપરવાહ હોય. અને પછી દેવું વધી જાય ત્યારે સમસ્યાઓ થાય એટલે જ સંકટ સમયનો ઉલ્લેખ કર્યો છે.
  • માસીક પેમેન્ટ વખતે ક્રેડીટના દિવસો નું પુરૂં ધ્યાન રાખવું. લોભામણી ઓફર હોય છે એમની. મિનિમમ આટલા ચુકવો કે પુરેપુરા ચુકવો - તો આ સંજોગોમાં હંમેશા પુરેપુરા ચુકવવા હિતાવહ છે. જેના કારણે ઉંચા વ્યાજના ચક્રમાં ફસાઈએ નહી.
  • પેમેન્ટ સાયકલ ખાસ ધ્યાનમાં રાખવી. ૩૦ દિવસ કે કેટલા દિવસની છે? ઘણી વખત એવું બને કે સાયકલ શરૂ થવાના એક બે દિવસ બાદ જો ખરીદી કરશો તો તમને ક્રેડીટના પુરા દિવસો મળશે. અને પેમેન્ટ ડ્યુ તારીખ પહેલાં કરશો તો ક્રેડીટ દિવસો ઓછા મળશે.
  • તમારા ખર્ચને ટ્રેક કરતા રહો. ક્રેડીટ કાર્ડની એન્ડ્રોઈડ એપ્લીકેશન મોબાઈલમાં રાખવી. જેથી તમારા બાકી બેલેન્સ અને એની વિગતો ઉપરાંત રીવોર્ડ પોઇન્ટ પર નજર રહે. અને સમયસર ચુકવણી કે રીવોર્ડ પોઇન્ટ રીડીમ કરી શકો. અને જો કોઇ ફ્રોડ ટ્રાન્ઝેક્શન થાય તો રીપોર્ટ કરી શકો.
  • ઇમેઇલ અને એસએમએસ ટ્રાન્ઝેક્શન એલર્ટ સબસ્ક્રાઈબ કરવું અત્યંત જરૂરી છે. (મારા કાર્ડ ઉપરથી મેક્સીકોમાં કોઇએ ટ્રાન્ઝેક્શનનો એટેમ્પ કર્યો હતો. અને મધરાતે મને એલર્ટ મેસેજ આવ્યો. સવારે કોલ સેન્ટર પર વાત કરી અને એ બ્લોક કર્યો હતો અને મને નવું કાર્ડ ઇસ્યુ થયું)
ભયસ્થાન:::  સાવચેતી શેમાં રાખવી

ક્રેડીટ કાર્ડ દ્વારા રોકડ ઉપાડ એ અત્યંત જોખમી સાબીત થઈ શકે છે. એટીએમ દ્વારા રોકડ ઉપાડવા આમ તો સરળ પ્રક્રીયા છે. દરેક ક્રેડીટ કાર્ડમાં એક હોય છે ક્રેડીટ લીમીટ - તમે કેટલા ખર્ચી શકો છો. અને બીજી હોય છે કેશ વિથડ્રોઅલ લીમીટ - તમે કેટલા રોકડા ઉપાડી શકો છો. આમ સરળ લાગે છે  પણ જેટલું સરળ એ ઉપાડવાનું છે એટલું જ ખર્ચાળ સાબીત થઈ જાય છે. રોકડ ઉપાડની સાથે જ એડવાન્સ ચાર્જીસ અને વ્યાજ બન્ને લાગુ પડે છે. 

પ્રત્યેક ટ્રાન્ઝેક્શન - વન ટાઈમ ૫૦૦ રૂપીયા કે ૨.૫%  જે વધુ હોય તે રકમ લાગુ પડે છે. અને એ સાથે ઝીરો દિવસથી જ વ્યાજ ચાલુ થઈ જાય છે. જે ૨.૫% - ૩% પ્રતી મહીના લાગુ પડી શકે છે.  અને એ તમામ બાકી રહેતી રકમ - ખરીદી કે અન્ય ટ્રાન્ઝેક્શન + રોકડ ઉપાડ બન્ને ઉપર લાગુ પડશે. 

હવે કઈ બેંકનું કાર્ડ સારૂં:

એ વ્યક્તિગત પસંદગી અને સગવડની જરૂરીયાત ઉપર આધારીત છે. હું છેલ્લા ૨૦ વરસથી એસબીઆઈ ક્રેડીટ કાર્ડ ઉપયોગ કરૂં છું અને મને એમની સેવાઓથી સંતોષ છે. તમે તમારી જે તે બેંક દ્વારા કાર્ડ પ્રોવાઈડ કરાતું હોય તેનો અભ્યાસ (ચાર્જ / વ્યાજના દર / ક્રેડીટ સ્કોર / એન્યુઅલ ફીઝ વગેરે) કરવો અત્યંત જરૂરી છે.
મારા મત અનુસાર આપણી રાષ્ટ્રીયકૃત બેંકના કાર્ડ સારા રહે છે. એ ઉપરાંત ભારતીય ખાનગી બેંકોના પણ સારા હોય છે. ચાર્જીસ અને શરતો ચેક કરવું એ સલાહ છે.

આભાર